વલસાડના ભાગડાવડા કરીમનગર વિસ્તારમાં રખડતા કુતરાઓ દ્વારા 7 વર્ષની બાળકીને નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે. કુતરાઓના હુમલા દરમિયાન બાળકીને હાથ, માથું અને ગરદન સહિતના ભાગે ઊંડા ઈજાઓ પહોંચી છે.

ઘટના બાદ બાળકીને તરત જ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી, જ્યાં હાલમાં તેની સારવાર ચાલી રહી છે.

થોડા દિવસો પહેલાં પણ આ જ વિસ્તારમાં રખડતા કુતરાઓએ એક ગાયના વાછરડા પર હુમલો કરીને તેને મારી નાખ્યું હતું, જેના કારણે વિસ્તારમાં પહેલેથી જ ભય અને અસુરક્ષાનું વાતાવરણ બન્યું હતું.

તાજેતરની ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગામજનોનું કહેવું છે કે રખડતા કુતરાઓનો આતંક સતત વધી રહ્યો છે, છતાં તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં નથી આવ્યા.

ગામજનો દ્વારા તંત્રને કુતરાઓનો તાત્કાલિક નિકાલ કરવા, તેમજ વિસ્તારમાં સુરક્ષાની મજબૂત વ્યવસ્થા ગોઠવવા માટે જોરદાર માંગ કરવામાં આવી રહી છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓ પર હવે યોગ્ય પગલાં લેવા માટે દબાણ વધી રહ્યું છે.





