
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંબેટી ગામના ખરેડા ફળિયામાં મનીષભાઈ રણછોડભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. અને ફળિયામાં રહેતા ઉમેશભાઈ બાબરભાઈ આહીર તેમજ શૈલેષ રમુભાઇ પટેલ સાથે છેલ્લા 10 વર્ષ ઉપરાંત થી અંબેટી ગામના ખરેડા ફળિયામાં રહેતા લોકો પાસે હોળી અને ધુળેટી પર્વના દિવસે ફંડ ફાળો ઉઘરાવતા હતા. ફંડ ફાળામાં એકત્રિત થયેલા રૂપિયા ગામના સ્થાનિક લોકોને જરૂરિયાત મુજબ ઉછીના રૂપિયા આપવાની કામગીરી ફક્ત હોળી અને ધુળેટી પર્વમાં કરતા આવ્યા છે. ગત અને 24 માર્ચના રોજ હોળી પર્વ નિમિત્તે મનીષભાઈના ઘરે ઉમેશભાઈ અને શૈલેષભાઈ ભેગા થયા હતા. અને ફળીયાના લોકો પાસે હોળી નિમિત્તે ફંડ ફાળાની ઉઘરાણી કરી રહ્યા હતા. જે દરમિયાન રાત્રે 9:30 કલાકે નંબર વગરની કારમાં 5 અજાણ્યા ઇસમો આવી પહોંચ્યા હતા.અને પોતે પોલીસ તરીકેની ઓળખ આપી મનીષભાઈને બંધક બનાવી લીધા હતા.

ગેરકાયદેસર રીતે ફંડ ફાળો ઉઘરાવવા બાબતે પોલીસ બની આવેલા અજાણ્યા 5 ઈસમોએ મનીષભાઈને ધમકાવ્યા હતા. અને એકત્રિત કરેલા રૂપિયા આપી દેવા ધમકી આપતા, મનીષભાઈએ તેમની પાસેના એક લાખ રૂપિયા અજાણ્યા ઇસમોને આપી દીધા હતા. પોલીસના સ્વાંગમાં આવેલા અજાણ્યા ઈસમોએ પરિવારના 3 સભ્યો પાસેથી મોબાઈલ ફોન છીનવી લીધા હતા, અને મનીષભાઈ તેમજ તેમના મિત્ર સંજયભાઈ ને પોતાની કારમાં બંદક બનાવી લઈ ગયા હતા. જે દરમિયાન અજાણ્યા ઈસમે ચોપડા ચેક કરતા ચોપડામાં વધુ રૂપિયા એકત્રિત થયા હોવાનું જણાવતા મનીષભાઈ સાથે બંધક બનાવેલા સંજયભાઈ ને મનીષભાઈ ના ઘરે મોકલી વધુ રૂપિયા મનીષભાઈ ને છોડવા માટે મંગાવ્યા હતા. મનીષભાઈએ તેમની પત્ની રેખાબેનને કબાટમાં મુકેલી થેલીમાં રહેલા રૂપિયા સંજયભાઈને આપવા જણાવ્યું હતું. રેખાબેને કબાટમાં મુકેલી થેલીમાંથી વધુ એક લાખ રૂપિયા આપી મનીષભાઈ ને છોડાવવા પ્રયાસ કર્યો હતો. અજાણ્યા 5 ઈસમોએ સંજયભાઈ પાસેથી રૂપિયા ભરેલી થેલી લઈને મનીષભાઈને ધમકાવી છોડી મુક્યા હતા. મનીષભાઈ પાસેથી કુલ 2.40 લાખની લૂંટ મચાવી નંબર વગરની કારમાં પોલીસના સ્વાંગમાં આવેલા 5 અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ ગામના અગ્રણીઓને થતા તાત્કાલિક મનીષભાઈના ઘરે મદદ દોડી આવ્યા હતા. ઘટના અંગે 25 માર્ચના રોજ કપરાડા પોલીસ ટીમને જાણ થતાં કપરાડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ કરી હતી. તે કેસમાં, વલસાડ જિલ્લા SP ડૉ કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા LCB, જિલ્લા SOG અને નાનાપોંઢા પોલીસ સ્ટેશનના PSI એન, સી. સગર તથા તેમના કર્મચારીઓ સહિત અલગ અલગ ટીમો બનાવી, ઘટના સ્થળના આજુ બાજુના રૂટ ઉપરના CCTVના ફુટેજ મેળવી ટેકનીકલ સર્વેલન્સ ના આધારે લૂંટ તથા અપહરણ કરી લઈ જઇ, ખંડણી માંગનાર ઈસમો તથા ગુનામાં ઉપયોગમાં લીધેલા વાહનોના ફોટાઓની માહિતી એકઠી કરી, પોલીસ ની ટીમ તપાસ કરી રહી હતી જે દરમ્યાન LCBની ટીમને બાતમી મળી હતી કે અંભેટી ગામ ખાતે બનેલા લૂંટના ગુનામાં સંડોવાયેલ ટોળકીના 2 સભ્યો અંભેટી ગામના પંચનાથ મહાદેવના મંદિરની પાસે આવેલા કોલક નદીના પુલ પાસે કારમાં બેઠા છે.
જે બાતમીના આધારે LCB ની ટીમે લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપી અનિલભાઈ બાપુડભાઈ ધોડિયા અને સંજયભાઈ ધીરુભાઈ ધોડિયાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા 2,20,000/ કબ્જે લઈ, આરોપીઓને નાના પોંઢા પોલીસ ને સોંપ્યા છે. નાનાપોંઢા પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય 3 ઈસમો, ચંપકભાઈ બહાદુર પટેલ, વિક્રમ ઉર્ફે વિકી છોટુભાઈ ધોડિયા, અને સંજયભાઈ નટુભાઈ ધોડિયાને વોન્ટેડ જાહેર કર્યા છે. નાનાપોંઢા પોલીસે ઝડપાયેલા બંને આરોપીને કોર્ટમાં રજૂકરી બંને આરોપીઓના 4 એપ્રિલ સુધી રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.ઝડપાયેલા આરોપી પૈકી એક આરોપી નિવૃત સૈનિકનો દીકરો હોવાનું સામે આવ્યું છે. જુરે કેસમાં સંડોવાયેલા અને હાલમાં વોન્ટેડ આરોપી પૈકી એજ સુરત નગર પાલિકાનો સફાઈ કામદાર હોવાનું સામે આવ્યું છે.





