ધરમપુરમાં થઈ રહેલા ભારે વરસાદમાં બામટીમાં કાચા મકાન પર ધરાશયી થયેલા એક સાગના ઝાડને લઈ અડધું ઘર તૂટી ગયું હતુ.

ઝાડ પડવાનો અવાજ સાંભળી ઘરમાં એકલો રહેતો ઇસમ બહાર આવી ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની ન થઈ હતી. ઘટનાની થયેલી જાણને લઈ સ્થળ ઉપર પહોંચેલા સરપંચે મામલતદાર, ટીડીઓ તલાટી કમ મંત્રી તથા જીઈબીમાં જાણ કરી હતી. બામટી ગામના જલારામ મંદિર ફળીયાના કાંતિભાઈ નારણભાઈ પટેલના કાચા મકાન ઉપર ભારે વરસાદમાં રાત્રીના આશરે સાડા બાર વાગ્યે અચાનક સાગનું એક ઝાડ તથા આંબા કલમ તૂટી પડી હતી.
અવાજ સાંભળી ઘર માલિક બહાર આવી ગયા હતા. આ ઘટનામાં માલીક તથા બે પશુઓનો બચાવ થયો હતો. બામટીના સરપંચ વિજય પાનેરીયાએ જણાવ્યું હતું કે આ અંગેની જાણ થતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા. અડધું મકાન તૂટવાની સાથે ત્યાંથી પસાર થતી બંધ ખેતીવાડીની લાઈન પણ નમી પડી હોવાથી તકેદારીના ભાગરૂપે તેમણે વીજ કંપનીમાં પણ જાણ કરી હતી. આ ઉપરાંત આશરે 17 પતરા તૂટવાની સાથે ઘરવખરી ભીનાઈ હોવાથી તંત્રને જાણ કરી હતી. વધુમાં સરપંચે અસરગ્રસ્તને સરકારી નિયમોનુસાર નુકશાન સહાય મળે એવી લાગણી વ્યક્ત કરી હતી.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
Vapi District Valsad Gujarat





