ઘર બહાર સુતેલી વૃદ્ધાને ગળેથી પકડી જંગલમાં લઈ જઈ ફાડી ખાધી, અલગ-અલગ જગ્યાએથી માથુ-ધડ મળી આવ્યાં

વલસાડ જિલ્લામાં ધરમપુરના આંબાતલાટ ગામમાં શિકારની શોધમાં દીપડો આવી પહોંચ્યો હતો. આ દરમિયાન ઘરના ઓટલે સુતેલી વૃદ્ધાને ગળેથી પકડી જંગલમાં ખેંચી ગયો હતો.
સવારે પરિવારના સભ્યોએ સોનાઈબેન કાળધાભાઈ ચૌધરી નામની 67 વર્ષીય વૃદ્ધાની શોધખોળ કરી હતી. જોકે, વૃદ્ધા મળી આવી ન હતી. આ દરમિયાન ઘરની નજીક આવેલા જંગલમાંથી વૃદ્ધાનું માથું અને થોડે દૂરથી ધડ મળી આવ્યું હતું.
શિકારની શોધમાં નીકળેલા કદાવર દીપડાએ વૃદ્ધાનો શિકાર કર્યો હોવાનું સામે આવતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. દીપડાને પાંજરે પુરવા વન વિભાગની ટીમે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે
દીપડાએ કરેલા હુમલાની ઘટનામે વિગતવાર જોઈએ તો ધરમપુરમાં આંબાતલાટ ગામમાં જંગલ વિસ્તાર નજીક એક પરિવાર રહે છે. પરિવારની સોનાઈબેન કાળધાભાઈ ચૌધરી નામની વૃદ્ધા ઘરના ઓટલા ઉપર સૂતી હતી. આ દરમિયાન વહેલી સવારે શિકારની શોધમાં ફરતો દીપડો માનવ વસ્તી તરફ આવી પહોંચ્યો હતો. દીપડાએ ઘરના ઓટલા ઉપર સુતેલી મહિલાને ટાર્ગેટ કરી ગળાના ભાગેથી વૃદ્ધાને પકડી જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો. જ્યાં વૃદ્ધાને ફાડી ખાધી હતી.
વૃદ્ધાનું માથું અલગ કરી ધડ અલગ જગ્યાએ લઈ ગયોવ હેલી સવારે પરિવારે વૃદ્ધાની ઘરની આજુબાજુના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે, વૃદ્ધા ક્યાંય મળી ન આવતા ઘટના અંગે પરિવારના સભ્યોએ સ્થાનિક અગ્રણીઓ અને સ્થાનિક લોકોની મદદ મેળવી હતી. તે દરમિયાન ઘરથી 300 મીટર દૂર જંગલ વિસ્તારમાંથી વૃદ્ધાનું માથું મળી આવ્યું હતું. ત્યાંથી આગળ તાપસ કરતા વૃદ્ધાનું ધડ છૂટું પડેલું જોવા મળ્યું હતું.





