વલસાડ જિલ્લા પોલીસે 21 વર્ષથી ફરાર એક આરોપીને વારાણસીથી ઝડપી પાડ્યો છે. આરોપી આનંદ શિવપુજન તિવારી સાધુનો વેશ ધારણ કરીને સ્વામી અનંતદેવના નામે રહેતો હતો.

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને પકડવાની મુહિમ ચાલી રહી હતી. ભીલાડ પોલીસ સ્ટેશનના PSI આર.પી.ડોડીયાની ટીમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે, આરોપી વારાણસીના ચોસઠી મઠ આશ્રમમાં રહે છે.

આરોપી વર્ષ 2004માં ઉમરગામ (ભીલાડ)માં લૂંટ, અપહરણ અને આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલો હતો. ગુનો કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. પોલીસે વારાણસી ખાતે એક ટીમ મોકલી. પોલીસ કર્મચારીઓએ સાધુ અને ફેરીયાનો વેશ ધારણ કરીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન સ્વામી અનંતદેવ નામનો સાધુ મળી આવ્યો. પૂછપરછમાં તેણે પોતાની અસલી ઓળખ જાહેર કરી. તેણે કબૂલ્યું કે, પોલીસથી બચવા માટે તેણે સાધુનો વેશ ધારણ કર્યો હતો અને નામ બદલીને આશ્રમમાં રહેતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





