ખજોદમાં કચરો ઘટાડવાની સ્થિતિ વચ્ચે સચિન હાઇવેથી ખુબ નજીક ઉનના સાયેરાનગરમાં વોટર બોડી ન હોવા છતાં તળાવમાં ફેરવાયેલા વિશાળ પટને ભરવા મોટી માત્રામાં ડમ્પિંગ કચરાનો ઉપયોગ કરાઇ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

તળાવમાં ડમ્પિંગ કચરો ભરી દેવાયો છે. આ સ્થિતિ ગંભીર હોવાની સાથે પાલિકા તંત્ર સહિતના જવાબદારોની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો કરી રહી છે. આટલી મોટી માત્રામાં તે પણ પુરાણ માટે ડમ્પિંગ કચરો આવ્યો ક્યાંથી તે સવાલ તપાસ માંગી લે છે. જોકે ભેદી કામગીરી અંગે જવાબદાર વિભાગો કેમ ચુપ છે? તે મામલે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
નોંધનીય છે કે, શહેરમાંથી નીકળતા દૈનિક 2500 ટન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે ખજોદ સ્થિત ગાર્બેજ ડિસ્પોઝલ સાઇટ પર ડમ્પિંગ કરાઇ રહ્યો છે. જોકે, હયાત સાઇટની નજીકના ડ્રીમસિટી ખાતે ડાયમંડ બુર્સ સાકાર થતાં ખજોદ કચરા સાઇટનું ઉંબેરમાં શિફ્ટિંગ કરાશે. જેથી ખજોદમાં કચરાના ડુંગરોને લેન્ડ ફીલ કરી પ્રોસેસિંગ ગ્રીન લેયર નીચે દબાવવા કવાયત ચાલી રહી છે.





