સુરતના વેડરોડ પંડોળથી મંગળવારે મોડીસાંજે ગુમ થયેલી 5 વર્ષની બાળા વેડરોડ પર અખંડઆનંદ કોલેજ પાસેથી ભેદી રીતે મળી આવી હતી.

બાળકીના ગુપ્ત ભાગે ઇજાના ચિહ્નો હોવાથી તેની સાથે દુષ્કર્મની આશંકાને પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી. તપાસ કરતા બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. જેને લઇ ચોક બજાર સહિત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ તપાસમાં જોડાઈ હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમને ઝડપી પાડયો હતો. નરાધમ બાળકીને ચોકલેટ અપાવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો.

ચોકબજાર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બાળકીને તુરંત સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. બાળકીને ગુપ્ત ભાગે ઈજાના ચિહ્નો મળી આવ્યા હતા. જેને લઇ પોલીસને પ્રાથમિકતામાં જ બાળકી સાથે દુષ્કર્મની શક્યતા સેવાઇ રહી હતી. આ દરમિયાન સ્મીમેર હોસ્પિટલમાં ખસેડતા બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સામે આવી હતી. જેને લઇ પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી કામે લાગી હતી.
જોઈન્ટ પોલીસ કમિશનર વાબાંગ ઝમીરે જણાવ્યું હતું કે, નરાધમ અંકિત ઓમપ્રકાશ ગૌતમે બાળકીને ચોકલેટ ખવડાવવાના બહાને અપહરણ કર્યું હતું. બાદમાં ચોકબજાર પોલીસ મથકની હદમાં એક અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને બાળકી રડવા લાગતા તેણીને ત્યાં જ છોડીને ભાગી ગયો હતો. હાલ આરોપીની પોલીસે ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





