સૂપા, મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપા ખાતે રક્ષાબંધનના પાવન દિવસે ઉપનયન (જનોઈ) સંસ્કાર વિધિનો કાર્યક્રમ યોજાયો, જેમાં સમગ્ર ગુરુકુલ સંસ્થા સંસ્કૃતના શ્લોકોથી ગુંજી ઉઠી.

આ પ્રસંગે કેમ્પસ ડાયરેક્ટર શ્રી સુરેશભાઈ રત્નાણીએ ઉપસ્થિત મુલાકાતીઓને સંબોધિત કરતાં જણાવ્યું કે, “આ વિધિ ગૌરવશાળી ભારતીય પરંપરાનો એક અગત્યનો ભાગ છે, જે ગુરુ પાસે જવાની યોગ્યતા ધારણ કરાવવા માટેની ધાર્મિકવિધિ તરીકે ઓળખાય છે. યજ્ઞોપવીત, જેને જનોઈ પણ કહેવામાં આવે છે, ત્રણ ધાગાના દોરા ધરાવતું પ્રતીક છે, જે બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશનો પ્રતીક છે. તે સત્વ, રજ, અને તમના તત્ત્વોને પણ દર્શાવે છે.”

મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલની 100 વર્ષની પરંપરાને અનુસરતા, આ વિધિ દર વર્ષે રક્ષાબંધનના દિવસે કરવામાં આવે છે. આ વર્ષે પણ, વિદ્યાર્થીઓના માતા-પિતા પોતાના સંતાનોને ગુરુની દેખરેખમાં સોંપીને આ પવિત્ર વિધિમાં જોડાયા હતા.

વિદ્યાર્થીઓ માટે યજ્ઞ અને જનોઈ સંસ્કારનું આયોજન આચાર્યશ્રી દીપેશ શાસ્ત્રી, પ્રતિક શાસ્ત્રી અને વિવેકાનંદ શાસ્ત્રીએ સફળતાપૂર્વક કરાવ્યું. યજ્ઞ વેદીને સંપૂર્ણ રીતે શણગારવામાં આવી હતી અને આ વિધિ દરમિયાન ગાયત્રી મંત્ર તથા સંસ્કૃતની ઋચાઓ ગુરુકુલના ચોતરફ પવિત્ર વાતાવરણ પ્રસરી ગયું.

આ પાવન પ્રસંગે, ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓએ સંસ્થાને શુભેચ્છા પાઠવી અને આ આગવી પરંપરાની પ્રશંસા કરી, જે ગુરુ અને શિષ્યના અવિનાશી સંબંધોને મજબૂત કરે છે. ગાયનું શુદ્ધ ઘી અને હવનની સામગ્રીથી સમગ્ર વાતાવરણ પવિત્રમય બની ગયું હતું.





